2 ઓક્ટોબરે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન એવા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીમાં વાપી શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરી તેમને નમન કર્યા હતા. અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતી નિમિત્તે વાપી શહેર કોંગ્રેસ તરફથી પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. તમામે બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ફૂલહાર અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. તો એ સાથે જય જવાન જય કિસાનનો નારો આપનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કરવામાં આવ્યા હતા. દેશની આઝાદીમાં બાપુનું અનેરૂ યોગદાન રહેલું હોય આ પ્રસંગે તેમના આ યોગદાનને પણ યાદ કરી પ્રણામ કર્યા હતા. તેમના સિદ્ધાંતોને માત્ર બીજી ઓક્ટોબર પૂરતા મર્યાદિત નહીં રાખતા આખું વર્ષ કોંગ્રેસ તેમના સિદ્ધાંતો સાથે ચાલે છે અને આવનારા દિવસોમાં પણ ચાલતી રહે છે તેઓ સંકલ્પ લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી અમર રહે… તેવા નારા લગાવવામાં આવ્યા હતા. તો, સ્વર્ગીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપેલા જય જવાન જય કિસાન… સૂત્રના પણ નારા લગાવ્યા હતા. જો કે તેમની સાથે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસેના વિરોધમાં ‘ગોડસે મુર્દાબાદ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ આયોજીત આ કાર્યક્રમમાં વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.