સુરત-મુંબઇ નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈ તરફ જતી લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સુરતમાંથી સાડીઓ સહિતની ખરીદી કરી મુંબઈ લઈ જતી મહિલાઓનો લાખોનો માલસામાન બળીને ખાખ થયો છે. બસ સુરત થી નીકળ્યા બાદ મોડી રાત્રે વલસાડ નજીક પહોંચી ત્યારે ટાયર ફાટવાથી આ ઘટના ઘટી હતી. આગ લાગતા અંદર સવાર 18 મુસાફરના જીવ જોખમમાં મુકાયા હતા. બનાવને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
અંગે મળતી વિગત મુજબ અમદાવાદથી કર્ણાટક ના બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકી ના બ્રિજ પર થી પસાર થઈ રહી હતી. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુર ઝડપે દોડી રહેલી આ બસ નું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતાં જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા. જોકે આગ લગતા બસ ચાલકે બસ ને થોભાવી બુમાં બૂમ કરતા બસ માં સવાર મુસાફરો માં દોડધામ મચી ગઇ હતી. સળગતી બસમાંથી મુસાફરો પોતાનો જીવ બચાવી ઉતરી ગયા હતા. પહેલા બસના એક ભાગમાંથી આગની શરૂઆત થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આખી બસ આગ ની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.
આગ ના બનાવથી હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમ ને કરતા 3 ટીમ સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આખી બસ આગમાં સપડાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાન હાની થઈ નથી પરંતુ બસ માં મુસાફરોનો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો. કર્ણાટક જતી આ બસ માં મુંબઇ માં સાડીઓ નો છૂટક ધંધો કરતી મહિલા અને પુરુષ દિવાળી ના વેપાર માટે લાખો રૂપિયાની સાડી લઈ બસ માં બેઠા હતા. જોકે બસમાં સાડી સહિત તમામ માલસામાન બળી ને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું.
પોતાની પરસેવાની કમાણીથી ખરીદેલો માલ બળી જતા આ મહિલાઓને પુરુષો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. મુસાફરો ના મતે બસ ના ચાલક અને કલીનરે ટીકીટ આપ્યા વિના 500 રૂપિયા લઈ બસ માં બેસાડ્યા હતા. બનાવને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે બે કલાકથી વધુ સમય સુધી જામ રહ્યો હતો. ઘટનાને કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેઓએ કાયદો વ્યવસ્થા જાળવી હાઇવે પરનો વાહમ વ્યવહાર યથાવત કર્યો હતો.