Friday, October 18News That Matters

વાપીના આ ખેડૂતની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટેશનમાં જમીન ગઈ સવા કરોડ મળ્યા

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ હાથ ધર્યો છે. આ ટ્રેનના રૂટ પર આવતી ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ તેને સારું એવું વળતર અપાયું છે. વાપીમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જમીન જવાથી ડાહ્યાભાઈ હળપતિ અને તેના પરિવારનો કરોડપતિ ખેડૂત માં સમાવેશ થયો છે. તેમનું જીવનધોરણ સુધર્યું છે. ધંધા વ્યવસાયનો વ્યાપ વધારી શક્યા છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું અમદાવાદ પછીનું સૌથી મોટું બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ ટ્રેન સ્ટેશનની બાજુમાં જ ખેડૂત અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ડાયાભાઇ હળપતિ તેમના પુત્રો-પુત્રવધુ સાથે રહે છે. તેમના બંગલાની લગોલગથી જ બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. જે જમીન તેમની જ હતી. અને તેમાં આંબાના અને નારીયેલીના ઝાડ હતાં. જો કે હવે તેના સ્થાને બુલેટ ટ્રેનના પિલલર ઉભા થયા છે. ડાયાભાઈની આંબાવાડીની અંદાજીત 3 એકર જમીન નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંપાદિત કરી છે. જેના તેમને સવા કરોડ રૂપિયા મળ્યા છે. જે રૂપિયાથી તેઓ તેમના ટ્રાન્સપોર્ટના વ્યવસાય નો વ્યાપ કરી શક્યા છે.


ડાહ્યાભાઈ જણાવે છે કે, જે જમીનના પૈસા મળ્યા તેમાંથી તેમણે 3 એકર જમીનની સામે 5 એકર જમીન ખરીદી છે. એ ઉપરાંત ટ્રક ખરીદ્યો છે. નવી કાર લીધી છે. ખેતીની આવકમાં તે એટલા સધ્ધર નહોતા પરંતુ ખેતીની જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટમાં આપીને પૈસેટકે સુધ્ધર થયા છે. તેમના જેવા અન્ય ખેડૂતો અને ઘર-પ્લોટના માલિકોની જમીન પણ આ પ્રોજેકટમાં ગઈ છે. તે લોકોનું પણ જીવન ધોરણ પહેલાની તુલનાએ સુધર્યું છે.

સવા કરોડ રૂપિયા મળતા કરોડપતિ ખેડૂતની પુત્રવધુ હોવાનું ગૌરવ અનુભવતી ડાહ્યાભાઈ હળપતિની પુત્રવધુ રંજન સંજય હળપતિ પણ ખૂબ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, ડુંગરા વિસ્તારમાં તેમના ઘર નજીક જ સસરાની આંબા વાડી હતી. જેની જમીન બુલેટ ટ્રેનમાં ગઈ તે બાદ તેમને તેનું સારું એવું વળતર મળ્યું છે. જેમાંથી સસરાએ ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વધાર્યો છે. ઘરમાં કાર સહિત નવું ફર્નિચર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી છે. બાળકોને સારી શાળામાં  અભ્યાસ કરાવવાનું શક્ય બન્યું છે. તો, સાથે સાથે એ વાતનું ગૌરવ પણ છે કે તેમના બંગલાની નજીકમાં તેની જ જમીન પર બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, ખેતી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ ડાહ્યાભાઈ હળપતિનો પરિવાર સુખી સંપન્ન પરિવાર છે. પરંતુ ખેતીમાં અને ધંધામાં થતી ક્યારેક અણધારી ખોટના કારણે જે સુવિધાઓની જરૂર હતી તે માટેની ચીજવસ્તુઓ ખરીદવા હાથ તંગી માં રહેતો હતો. હવે તે ચિંતા નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી સારી રકમનું વળતર મળતા તેઓ ખુશીની લાગણી અનુભવે છે.


અત્રે નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે જિલ્લાની અંદાજિત 123 હેકટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. જેમાં 1126 જેટલા પ્રાઇવેટ જમીન-પ્લોટ માલિકોને 481 કરોડનું વળતર ચુકવવામાં આવ્યું છે. જે 10 લાખથી માંડીને 2 કરોડ સુધી નું છે. જે મળવાથી કેટલાય ખેડૂતો લખપતિ અને કરોડપતિ બન્યા છે. સામાન્ય ઘરના સ્થાને આલીશાન બંગલો બનાવ્યો છે. બાઈકના સ્થાને કારના માલિક બન્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *