વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના દરિયા કિનારે રાત્રિ દરમિયાન ભરતીના પાણી સાથે મહાકાય વહેલ માછલીના અવશેષો તણાઇ આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા સામાજિક વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અમિતભાઇ ટંડેલને ટેલીફોનિક જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ દરિયા કિનારે તણાઈ આવેલ વહેલ માછલીના અવશેષોને દરિયા કિનારેથી હટાવા માટેની જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી.
દરિયા કિનારે તણાઈ આવેલ આ વ્હેલ ના હાડપિંજર પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તે લગભગ 25 ફૂટ જેટલી લાંબી વહેલ માછલીનું જડબા સહિતનું ખોળિયુ છે. નારગોલના ચોર તલાવડી વિસ્તારના દરિયા કિનારે સંપૂર્ણ કોહવાયેલી હાલતમાં તે મળી આવતા દરિયા કિનારે લોકોના ટોળેટોળા વહેલ માછલીના અવશેષો જોવા માટે જોવા મળ્યા હતા.
આ પ્રકારની વહેલ માછલી બે વર્ષ પહેલા નારગોલના દરિયા કિનારે મળી આવી હતી જેનું વેટરનરી ડોકટર દ્વારા પી.એમ કરાવી મૃત માછલીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બે વર્ષની અંદર ત્રણ જેટલી મૃત ડોલ્ફિન પણ દરિયા કિનારે મળી આવવાના બનાવો બન્યા છે.
ઉમરગામ તાલુકામાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં દરિયાની ભરતી સાથે વહેલ માછલી તેમજ ડોલ્ફિન સહિત અનેક દરિયાઈ જીવસૃષ્ટિ મૃત હાલતમાં મળી આવતી હોય છે જેને લઇ પર્યાવરણ પ્રેમીમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.