શુક્રવારે એક તરફ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર ધુળેટી છે. તો, એ જ દિવસ મુસ્લિમ સમાજ માટે જુમ્મા નો દિવસ છે. ઉપરાંત હાલમાં રમઝાન માસ પણ ચાલી રહ્યો હોય શહેરમાં કોમી એકતા જળવાય રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા GIDC પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન કરાયું હતું. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને પોલીસ તરફથી આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમાજના આગેવાનોને જાગૃત રહેવા તાકીદ કરી હતી.
હોળી અને રમઝાનને લઈને બુધવારે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ધર્મના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. IPS અધિકારી અંકિતા મિશ્રા અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં તમામ તહેવારો પ્રેમ અને ભાઈચારા સાથે સુમેળભર્યા વાતાવરણમાં ઉજવવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન પોલીસે વાતાવરણ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. પોલીસે તમામ ધાર્મિક સ્થળોને કોઈપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ટાળવા ચેતવણી આપી હતી. પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં લોકો હંમેશાથી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવતા આવ્યા છે અને તેને જાળવવાની જવાબદારી દરેકની છે.
પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર લાગણીઓને ઠેસ પહોંચાડતા સંદેશાઓ ફેલાવવાનું ટાળવા અને આવા કૃત્યો કરનારાઓ વિશે પોલીસને જાણ કરવા વિનંતી પણ કરી હતી. ઉપસ્થિતોએ તહેવારોમાં સુમેળ જાળવવા પોલીસની સૂચનાઓનું પાલન કરવાની ખાતરી પણ આપી હતી.