Friday, October 18News That Matters

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર, 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ભિલાડમાં ઇન્ડિયાપાડા ખાતે આગામી દિવસોમાં 51 શક્તિપીઠ નું નિર્માણ થવાનું છે. આ 51 શક્તિપીઠ ના નિર્માણમાં દાતાઓ ઉદાર હાથે દાન આપે તેનું સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરે બીડું ઝડપ્યું છે. ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરનારા આદિવાસી ગજાનન મહારાજે 5 એકર જમીન દાનમાં આપી 51 શક્તિપીઠ ધામ બનાવવાનો નીર્ધાર કર્યો છે. જેમાં MLA પાટકર ના સહયોગથી પ્રથમ 11 મંદિર માટે દાતાઓએ આગળ આવી દાન આપવાની જાહેરાત કરી છે.

 

30મી એપ્રિલે ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી ગજાનન મહારાજ સાથે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર, ભાજપના આગેવાનો, ઉદ્યોગપતિઓએ બેઠક કરી હતી. જેમાં અહીં નિર્માણ થનારા 51 શક્તિપીઠ ધામ માટે પ્રથમ 11 મંદિરના દાતાઓનો સહકાર લઈ આગામી દિવસોમાં શક્તિપીઠના નિર્માણનું ખાતમુહૂર્ત અને તે બાદ મંદિર નિર્માણની કામગીરી શરૂ કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

51 શક્તિપીઠના નિર્માણ અંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આ સ્થળે 51 શક્તિપીઠનું નિર્માણ થાય, ભક્તો દર્શને આવે, સાથે જ અહીં અન્નછત્ર બને, ગૌસેવા માટે ગૌશાળા બને તેવો શુભ આશય એક આદિવાસી સમાજના ગજું મહારાજે સેવ્યો છે. ગજું મહારાજે અહીં ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું છે. હવે 5 એકર જમીન દાનમાં આપી 51 શક્તિપીઠ ધામ બનાવવાનો સંકલ્પ લીધો છે. જેમાં તેમના તરફથી બનતી મદદ કરવા આગળ આવ્યા છે. વાપી, ઉમરગામ, સરીગામ GIDC ના ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આ ભગીરથ કાર્યમાં સહયોગ આપે તે માટે અપીલ કરી છે. અને 51 મંદિર પૈકીના 11 મંદિરના સંપૂર્ણ ખર્ચ માટેના દાનની રકમના દાતાઓ મળી ગયા છે. હવે આગામી સમયમાં મંદિર નિર્માણ માટે ખાત મુહરત સહિતની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

 

ઇન્ડિયાપાડા ખાતે રહેતા અને ભગવાન ભોળાનાથના સાક્ષાત્કાર કરી 20 વર્ષથી મહાદેવની પૂજા અર્ચના કરતા ગજાનન મહારાજે જણાવ્યું હતું કે, દેશમાં 51 શક્તિપીઠના દર્શનનો અનેરો મહિમા છે. પરંતુ તે દેશના અલગ અલગ સ્થળે છે. આ 51 શક્તિપીઠમાં બિરાજમાન માતાજીઓ હિન્દૂ ધર્મના અલગ અલગ સમાજમા કુળદેવી રૂપે પૂજ્ય છે. જે તમામ માતાજીના દર્શન કરવા શક્ય નથી. પરંતુ જો તે તમામ માતાજીના 51 શક્તિપીઠ નું એક જ સ્થળે નિર્માણ કરવામાં આવે તો દરેક હિન્દૂ સમાજના લોકો તેના એક જ સ્થળે દર્શન કરી શકે તેવા શુભ ઉદ્દેશ્યથી 51 શક્તિપીઠ ધામ બનાવવાનો સંકલ્પ લીધો છે.

છેલ્લા 15 વર્ષથી તે માટે પ્રચાર કરે છે. જે હવે સાકાર થઈ રહ્યો છે. સ્થાનિક MLA સહિત રાજકીય આગેવાનો, ઉદ્યોગકારો, સામાજિક દાતાઓ આગળ આવ્યા છે. 51 શક્તિપીઠ ના નિર્માણ સાથે અહીં અન્નક્ષેત્ર, ગૌશાળા, આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર સહિતના પ્રકલ્પો હાથ ધરવાના છે. જેમ પ્રથમ 11 મંદિરના નિર્માણ માટે દાતાઓ મળ્યા છે. તેમ બાકીના મંદિર માટે પણ દાતાઓ આગળ આવશે. તો, આ સ્થળ દક્ષિણ ગુજરાતનું પ્રથમ એવું ધાર્મિક સ્થળ હશે જ્યાં લોકો 51 શક્તિઓના દર્શન અને પૂજા કરી શકશે.

તો, શક્તિપીઠના નિર્માણ માટે 11 દાતાઓ મળી જતા કથાકાર અજય જાની એ જણાવ્યું હતું કે, અથાગ પ્રયત્નો બાદ ગજાનન મહારાજનું સપનું સાકાર થઈ રહ્યું છે. જેના પ્રથમ પાયારૂપે મિટિંગનું આયોજન થયું અને તેમાં 11 દાતાઓ પણ મળી ગયા છે. આવનારા સમયમાં અન્ય દાતાઓ પણ જો દાનની સરવાણી વહાવશે તો ચોક્કસ ગજાનન મહારાજનો સંકલ્પ પૂર્ણ થશે.

ઇન્ડિયાપાડા ખાતે નિર્માણ પામનાર 51 શક્તિપીઠ માટે મળેલી બેઠકમાં ધારાસભ્ય રમણલાલ પાટકર ઉપરાંત, ભાજપના દિલીપ ભંડારી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના પતિ હર્ષદ શાહ, ભિલાડના આગેવાન કપિલ જાદવ, ઉમરગામના ઉદ્યોગપતિ દાતા ભગવાન ભરવાડ, SIA સરીગામ ના ઉદ્યોગપતિ નિર્મલજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, જે સ્થળે 51 શક્તિપીઠ ધામનું નિર્માણ થવાનું છે તે સ્થળે મહાદેવની પૂજા અર્ચના કરતા ગજું મહારાજ વર્ષોથી આ ક્ષેત્રના અસંખ્ય લોકો માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવે છે. આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર ચલાવે છે. જેઓ અનેક સેવાકીય કાર્યો અને કાર્યક્રમો થકી 51 શક્તિપીઠ નિર્માણમાં લોકોને, દાતાઓને સહભાગી થવા અપીલ કરી રહ્યા છે. જે મહેનત હવે ધીરેધીરે ફળી રહી છે. આ સુંદર સ્થળ પર 51 શક્તિપીઠનું નિર્માણ થશે તો તેનાથી આ વિસ્તારમાં પ્રવાસનને પણ વેગ મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *