Friday, October 18News That Matters

વાપીમાં યુવકને માતાપિતા નવો મોબાઈલ અપાવે તે પહેલાં જ જૂની અદાવતમાં થઈ કરપીણ હત્યા

વાપી રેલવે સ્ટેશન યાર્ડની ગોદીમાં એક 28 વર્ષીય યુવકને અન્ય યુવકે જૂની અદાવતમાં લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરી નાખતા અરેરાટી ફેલાઈ છે. મૃતક યુવક કેટરર્સમાં મજૂરી કામ કરતો હતો. અને ભંગાર વિણતાં માતા-પિતા પાસે નવો મોબાઈલ લેવાની વાત કરી રેલવે સ્ટેશન તરફ લટાર મારવા અને મિત્રોને મળવા ગયો હતો. ત્યારે, એક 25 વર્ષીય રખડુ યુવાને તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
વાપી રેલવે સ્ટેશન યાર્ડની ગોદીમાં ગુરુવારે 27મી ઓક્ટોબરના રાત્રે 10:45 થી 11:30 કલાક વચ્ચેના સમયગાળામાં મનોજ ઉર્ફે ટકલીયા નામના રખડતા ભટકતા યુવાને કેટરર્સમાં મજૂરી કામ કરતા મોહમ્મદ અબ્દુલ મોહંમદ અંજાર(શેખ) નામના યુવકના માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો.
ઘટનાની જાણકારી મૃતક યુવકના મિત્રોએ તેમના માતાપિતા ને કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચી વાપી રેલવે પોલીસને જાણ કરતા GRP ના PSI યોગેશ રાજપૂત સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક 108ને બોલાવતા 108ના કર્મચારીઓએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મોહમ્મદ અબ્દુલને મોતને ઘાટ ઉતારી નાસતા ફરતા આરોપી એવા મનોજ ટકલીયાને દબોચી લીધો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી PM કરાવી મૃતદેહને તેમના પરિવાર ને સુપ્રત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાપીના નુતનનગર માં ઇચ્છુંભાઈની ચાલમાં રહેતા મૃતક મોહમ્મદ અબ્દુલ કેટરર્સ માં મજૂરી કરતો હતો. જયારે તેમના પિતા મોહંમદ અંજાર(શેખ) ભંગાર વિણવાનું કામ કરે છે. જેની પાસે મૃતકે નવા મોબાઇલની માંગણી કરી હતી. જે બાદ માતાપિતાએ તેને પૈસાની સગવડ થાય એટલે નવો મોબાઈલ લઈ આપવાની ખાતરી આપતા તે ઘરેથી રેલવે સ્ટેશને જવાનું કહીને નીકળ્યો હતો. જ્યાં રેલવે સ્ટેશન યાર્ડની ગોદીમાં રખડતા રહેતા મનોજે જૂની અદાવતમાં તેના માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની કરપીણ હત્યાએ વાપી શહેરમાં ચકચાર મચાવી છે. તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *