હાલ નવરાત્રીનું પર્વ તેની ચરમસીમાએ છે. દરેક પાર્ટી પ્લોટ અને શેરીઓ, સોસાયટીઓમાં ગરબાની રમઝટ બોલી રહી છે. ત્યારે વાપીમાં આવેલ શ્રીનાથ મિત્ર મંડળ દ્વારા પૌરાણિક સમયે અને હાલમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જેમ માત્ર મહિલાઓ જ ગરબે ઘૂમે અને એ પણ દિવડા સાથેની ગરબો માથે લઈને તેવુ આયોજન કરી નવરાત્રી પર્વમાં જે વેસ્ટર્ન કલચરની બોલબાલા વધી છે. તેને ત્યજી પૌરાણિક પ્રથા મુજબ નવરાત્રીમાં માતાની આરાધના કરવાનો સંદેશ આપી રહ્યા છે.
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ શ્રી નાથ મિત્ર મંડળ છેલ્લા 20 વરસથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. એક સાથે 4 સોસાયટીના રહીશો એકત્ર થઈ ગરબે રમતા હોય તેવી કદાચ આ એક સોસાયટી હશે. પારિવારિક ભાવનાનો સંદેશ આપતી સોસાયટીમાં પરંપરાગત નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં માં અંબાનો ચોક તૈયાર કરી તેમાં માથે પ્રગટતા દિવડા સાથેની ગરબી લઈ મહિલાઓ ગરબે રમે છે. આ મહિલાઓ ચપ્પલ પણ પહેરતી નથી. ખુલ્લા પગે માથે ગરબો લઈ ગરબે ઘૂમે છે.
શ્રી નાથ મિત્ર મંડળ વર્ષોથી નવરાત્રીના આયોજન સાથે વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ, ગરીબોને અનાજ આપવું, ઠંડીના સમયે ગરીબોમાં ધાબળા વહેંચવા, કુદરતી આફત વખતે મદદ કરવી, સૈનિકોને મદદરૂપ થવા જેવા વિવિધ સામાજિક કાર્યો કરી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે છે. ત્યારે હાલના સમયમાં નવરાત્રીમાં માતાની આરાધના સમયે પરંપરાગત સંસ્કૃતિ ભુલાઈ રહી છે. લોકો પાશ્ચાત્ય કલચર તરફ વળી નવરાત્રીમાં પણ તે પ્રકારનો દેખાડો કરવો. ઉપરાંત ખેલૈયાઓ વધુ પડતી આછકલાય કરી બેસતા હોય છે. ત્યારે આવા ખેલૈયાઓ, આયોજકોને પરંપરાગત ગરબા ને વળગી રહેવાનો સંદેશ આપ્યો હતો.