Friday, October 18News That Matters

વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલતા દમણગંગા નદીમાં ઘોડાપુર

વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપી સહિત તમામ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો, મધુબન ડેમના તમામ દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા વિયર છલકાઈને વહી રહ્યો છે. 
વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પુર આવતા કિનારાના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા પણ હાલ ઓવરફ્લો થઈને બેકાંઠે વહી રહી છે. મધુબન ડેમના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ વરસતો હોય ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં 1.52 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમનું લેવલ 72.60 મીટરે સ્થિર રાખી દમણગંગા નદીમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને જો વરસાદ શરૂ રહેશે તો 2 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી હોય કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર ખડેપગે મધુબન ડેમ અને દમણગંગા, ઔરંગા, માન, તાન, કોલક નદીના પ્રવાહ પર નજર રાખી રહ્યું છે. સાથે જ નદી કિનારાના દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે.
મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડાયું હોય દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ રિવર ફ્રન્ટ પર લોકોની અવરજવર બંધ કરાઈ છે. એ જ રીતે વાપીમાં દમણગંગા વિયર ખાતે પણ લોકોને જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ધસમસતા પાણીનો પ્રવાહ વાહનચાલકોની જાનહાની ના સર્જે તે માટે  સેલવાસ નરોલી બ્રિજ પણ બંધ કરાયો છે.
વલસાડ જિલ્લામાં સવારના 6 થી 2 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો ઉમરગામ તાલુકામાં 53mm, કપરાડા તાલુકામાં 180mm, ધરમપુર તાલુકામાં 100mm, પારડી તાલુકામાં 38mm, વલસાડ તાલુકામાં 96mm અને વાપી તાલુકામાં 106mm વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *