Friday, October 18News That Matters

ભાજપ ગુજરાતમાં દારૂ વેંચાવી 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે:-ગોપાલ ઇટાલિયા

વાપીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇટાલીયાએ વેપારીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ભાજપ વર્ષે 20 હજાર કરોડનું કમિશન લઈ દારૂ વેંચાવે છે. અને ચૂંટણી ફંડ મેળવે છે.
વાપીમાં વેપારીઓ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સંવાદ કાર્યક્રમ થકી વિવિધ પ્રશ્નો, રજૂઆતો સાંભળી હતી. જે બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થાય. ભાજપ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ આ દારૂ વેંચાવીને મેળવે છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી વ્યવસ્થા કરશે.
ગોપાલ ઇટાલીયાએ આજના સંવાદ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે આપ દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતના વેપારીઓને સાથે રાખીને ગુજરાતમાં આગળ વધે, ગુજરાતના લોકોનું ભલું થાય તેવું ઇચ્છે છે. તે માટે તેમના પ્રશ્નો, રજૂઆતો, ભલામણો સાંભળવા અલગ અલગ સ્થળો પર આ પ્રકારના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાપીમાં આયોજિત સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેવો એ GST, બેન્કિંગ સિસ્ટમ અને રોડ રસ્તાની રજૂઆતો કરી હતી. જેનું ધ્યાને લઈ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી પોતાનું વિઝન રજૂ કરશે.
ગોપાલ ઇટાલીયા એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત પક્ષ તરીકે આગળ વધી રહી છે. અરવિંદ કેજરીવાલના આગેવાનીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક તાકાતવર પક્ષ તરીકે ઉભરી રહી છે. ગુજરાતમાં બદલાવ માટે વેપારીઓ અને જનતાનો સપોર્ટ મળી રહ્યો છે. આમ આદમીને કારણે જ ભાજપમાં ડરનો માહોલ ઉત્પન્ન થયો છે. તેઓને CM બદલવા પડે છે. તો ક્યારેક મંત્રીઓ બદલી રહ્યા છે. જે લોકો ગુજરાતના લોકોનો અવાજ સાંભળતા નહોતા તે લોકોએ અવાજ સાંભળવા અને એક્શન લેવા મજબૂર બનવું પડ્યું છે. 2022ની ચૂંટણીમાં મજબૂત પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને આવશે.
વલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી મજબૂત વ્યક્તિત્વને ટિકિટ આપશે. સમગ્ર ગુજરાતમાં હાલમાં ચૂંટણીના ચાર મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 19 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. વલસાડમાં પણ યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. આવનારા દિવસોમાં જે રીતે અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી રહ્યા છે. તેવી જ રીતે વલસાડમાં પણ આવશે. ઇટાલીયા એ વાપીના ઉદ્યોગ જગત અંગે જણાવ્યું હતું કે ઉદ્યોગ જગત માટે પણ અરવિંદ કેજરીવાલ પાસે ખાસ વિઝન છે. જે વિઝન લઈને વેપારીઓ ઉદ્યોગો માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડશે.
ભાજપ પર પ્રહાર કરતાં તેણે જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતને દેવાળિયું કર્યું છે. શિક્ષણ, સારવાર, મુસાફરી, વીજળી આમાની એક પણ ચીજ મફત નથી આપતું તો પણ ગુજરાત દેવાદાર છે. જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, મુસાફરી મફતમાં આપીને દેવાદાર નથી. ગુજરાતમાં પણ આ સુવિધાઓ પૂરી પાડશે.
વાપીમાં આયોજિત આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારી વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જે સંદર્ભે ગોપાલ ઇટાલીયા એ ભાજપ પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2022 ની ચૂંટણીને લઈને કઈ રીતે આગળ વધી રહી છે. કેવી તૈયારીઓ કરી રહી છે. તે અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. ઉપસ્થિત યુવાનોને ગોપાલ ઇટાલિયાએ અને ડૉ. રાજીવ પાંડે એ આપ પાર્ટીનો ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *