વાપીમાં જાણીતા દાતા એવા સાવલા પરિવાર અને અચલગચ્છ જૈન સંઘ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 315 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ આ સેવાના કાર્ય બિરદાવી. આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનથી દેશમાં રાષ્ટ્રભાવના પ્રબળ બની હોવાનું જણાવ્યું હતું.
વાપીમાં સાવલા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે આઝાદી ના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંગે જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75 માં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કેવી રીતે મળી? આઝાદીમાં લોકોએ શું સમર્પણ આપ્યું? કેટલા શહીદો થયા? તે શહીદ પરિવારોને યાદ કરી સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના જાગે, નવી પેઢીને આઝાદીનું મૂલ્ય સમજાય તે માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. દેશ આજે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું છે.
તો હર ઘર તિરંગા અભિયાન અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ લોકોમાં ખૂબ ઉત્સાહ છે. લોકો પોતાના ખર્ચે તિરંગાની ખરીદી કરી રહ્યા છે. અભિયાનમાં સરકારી ઇમારતો પર સરકારની વિવિધ યોજના હેઠળ તિરંગાની ખરીદી કરવામાં આવી રહી છે. તેમના મત વિસ્તાર પારડી વિધાનસભામાં પણ એક લાખ તિરંગા ખરીદવામાં આવ્યા છે. દેશભરમાં 75 માં આઝાદી અમૃત મહોત્સવ અને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશના નાગરિકોમાં દેશભક્તિ પ્રબળ બની છે. સમગ્ર દેશ આ અભિયાન હેઠળ એકતા ના તાંતણે જોડાઈ ગયો છે.
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ સમાજિકક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપતા સાવલા પરિવાર અને અચલગચ્છ જૈન સંઘને સેવાના કાર્ય બદલ તેમજ રક્તદાન કરનાર દાતાઓને અભિનંદન પાઠવ્યા હતાં. તો, સાવલા પરિવારે પણ તેમના દ્વારા થતા સારા કાર્યો વર્ષોવર્ષ થતા રહે, લોકોના આશીર્વાદ મળતા રહે તેવી ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં આખું વર્ષ થતા દરેક રક્તદાન કેમ્પમાં તેમજ સામાજિક કાર્યો માં પોતાનું અનોખું યોગદાન આપતા સાવલા પરિવાર દ્વારા શનિવારે માતૃશ્રી હિરબાઈ મેઘજી સાવલાની બીજી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 315 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.