ગઇ તારીખ.04/03/2025 વાપી ઇમરાનનગરમાં આવેલ સહારા માર્કેટની સામે ખુલ્લી ઝાડી-ઝાંખરાવાળી જગ્યામાં આશરે 40 થી 45 વર્ષના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં તેના બંન્ને પગ તથા હાથના ભાગે કોઇ બોથડ પદાર્થ થી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને વલસાડ પોલીસે દબોચી લીધા બાદ ચોંકાવનારી હકીકત સામે છે.
આ હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તેના હત્યારાઓને ઝડપી લેવા વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવવાળી જગ્યાના એન્ટ્રી એકઝીટ પોઇન્ટના આજુબાજુ વિસ્તારના CCTV ફુટેઝ મેળવવામાં આવ્યાં હતાં. જેમાં મૃતકને બીજા અજાણ્યા ઇસમો પકડીને રોડની સાઇડમાં લઇ જતા જોવા મળ્યા હતાં. જે તમામ ઇસમો ભીખારી જેવા લાગતા હતાં.
જેથી બનાવવાળી જગ્યાની આજુબાજુમાં આવેલ બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન તથા ફુટપાથ ઉપર ભીખ માંગતા સી.સી.ટી.વી ફુટેજમાં જોવા મળેલ વર્ણનવાળા ઇસમોની તપાસ કરતા વાપી રેલવે સ્ટેશન બહાર ફુટપાથ ઉપરથી સી.સી.ટી.વી ફુટેજમાં દેખાતા ત્રણેય ઇસમો મળી આવ્યા હતાં. જેને તાબામાં લઇ ઉંડાણ પુર્વક સઘન પુછપરછ કરતા પોતાનુ નામ આદેશ ઉર્ફે આદુ રામશેઠ અમરીયા ભોસલે ધંધો-ભીખમાંગવાનો હાલ રહેવાસી- વાપી રેલ્વે સ્ટેશન તથા વાપીમાં ફુટપાથ હોવાનું જણાવેલ
આ વ્યક્તિ સાથે અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોને ડીટેઇન કરી સઘન પુછપરછ કરતા સંડોવાયેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોએ જણાવેલ કે મરણ જનાર શરીરે અસક્ત હોય તેના હાથ અને પગ ભાંગીને અપંગ બનાવી બળજબરી પુર્વક ભીખ મંગાવવા માટે નક્કી કરેલ, જેનો મરણ જનાર ભીખારી ઇસમે વિરોધ કરતા આરોપી તથા બાળક કિશોરોએ મરણ જનારને અવાવરૂ જગ્યામાં લઇ જઇ તેના પગ તથા હાથના ભાગે લાકડાના ફટકાઓ મારી ઇજા પહોંચાડી ઇજા થયેલ હાલતમા સ્થળ પર છોડી નાશી ગયા હતાં. હાલ પકડાયેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોનો કબજો વધુ તપાસ અર્થે વાપી ટાઉન પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.