Thursday, October 17News That Matters

વાપીના ખાન પરિવારે ઇદની કુરબાની માટે તૈયાર કર્યા 151 કિલો, 110 કિલો અને 108 કિલોના ગુર્જરી નસલના બકરા

વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુરબાની માટે 3 બકરા તૈયાર કર્યા છે. ગુર્જરી નસલના આ ત્રણેય બકરાનું વજન અનુક્રમે 151 કિલો, 110 કિલો અને 108 કિલો છે. ખાન પરિવાર વર્ષોથી પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. જે બાદ ઈદ ઉલ જુહા (બકરી ઈદ)ના પવિત્ર દિવસે તેની કુરબાની આપે છે.

વાપીના ઇમરાન નગરમાં રહેતા અને એવરગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પોતાનું ફાર્મ ધરાવતા ખાન પરિવાર ના ઉંમર ફારૂકે જણાવ્યું હતું કે, તેઓને બકરા પાળવાનો શોખ છે. તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત રાજસ્થાન, પંજાબ, ગુજરાતના સારી નસલના 25 જેટલા ઘેટાં-બકરા છે. દર વર્ષની જેમ આ વર્ષે બકરી ઇદની કુરબાની માટે 3 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે.

આ વર્ષે ખાન પરિવારે ઇદની કુરબાની માટે તૈયાર કરેલો એક બકરો 151 કિલોનો છે. જેને મધ સહિત દૂધ, વડ, ફણસ ના પાન ખવડાવે છે. જેથી તેના હાડકા મજબૂત રહે અને તે તેનો પોતાનો વજન ઉપાડી શકે. એ ઉપરાંત બીજો બકરો 110 કિલોનો છે. જ્યારે ત્રીજો બકરો 108 કિલોનો છે. તમામ બકરાને ઠંડી, ગરમી અને વરસાદી ઋતુ મુજબ પૌષ્ટિક ખોરાક અપાય છે. નિયમિત તેમનું મિડકલ ચેકઅપ કરાવી વેકસીનના ડોઝ આપે છે.

ઇદ માં અપાતી કુરબાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવા અંગે ઉમરફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણા નો ભાવ હોય જેની કુરબાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુરબાની છે. એટલે તેમનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ બકરાઓને દીકરાની જેમ પાળી ને મોટા કરે છે. મોટેભાગે તેઓ રાજસ્થાનના ગુર્જરી નસલના બકરાઓ દર વર્ષે ખરીદે છે તે બાદ આખું વર્ષ તેને પાળે છે. અને ઈદ ના દિવસે તેની કુરબાની આપે છે.

ખાન પરિવાર બકરાઓને તેના દીકરાની જેમ માવજત કરી ઉંચી નસલના બનાવે છે. બકરો જાણે પરિવારનો એક સભ્ય હોય તે રીતે તેની દેખભાળ કરે છે. એટલે ખાન પરિવાર માને છે કે, ઇદ નિમિતે તેની કુરબાની આપવામાં આવશે. ત્યારે આ દિવસ દુઃખનો દિવસ હશે. કેમ કે આ બકરાઓ સાથે લાગણીના સંબંધો બંધાયા છે, કુરબાનીનો મતલબ જ એ છે કે જેમાં તમે કોઈ તમારા પોતાનાની કુરબાની આપી હોય તેવો ભાવ કાયમ યાદ રૂપે મનમાં વસી જાય. આ સ્નેહના સંબંધો સમાજમાં ભાઈ-ચારો કાયમ રાખવાનો સંદેશ આપે છે. આ દિવસ સારી ચીજોને અપનાવી બુરાઈ ને ત્યજવાનો દિવસ છે. અને એ જ ઈદ ઉલ જુહા નિમિતે અપાયેલી સાચી કુરબાની છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *