Friday, October 18News That Matters

વરસાદી અમી છાંટણા વચ્ચે પણ વાપીના શ્રીનાથ મિત્રમંડળ નવરાત્રી મહોત્સવમાં માતાજીને 56 ભોગ ધરાવી 108 દીપની મહાઆરતી સાથે ગરબાની રમઝટ જામી

વાપીમાં 7માં નોરતે વરસાદી અમી છાંટણા વરસતા પાર્ટી પ્લોટ અને અનેક સોસાયટી, શેરીઓમાં ગરબાનું આયોજન મોકૂફ રહ્યું હતું. પરંતુ, વાપીના ચલા વિસ્તારમાં આવેલ શ્રીનાથ મિત્રમંડળ નવરાત્રી મહોત્સવમાં માતાજીને 56 ભોગ ધરાવી 108 દીપની મહાઆરતી બાદ ગરબાની રમઝટ જામી હતી.વાપીના ચલા વિસ્તારમાં આવેલ શ્રીનાથ નગરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 7માં નોરતે માતાજીને 56 ભોગ ધરાવ્યાં બાદ 108 દીપની મહાઆરતી કરવામાં આવી હતી. શ્રીનાથ મિત્રમંડળ નવરાત્રી મહોત્સવમાં અબાલ, વૃદ્ધ, બાળકો, વડીલો, મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતાં.આ અંગે મંડળ ના સભ્ય એવા સુનિલ કુમાર સુથારે જણાવ્યું હતું કે, તેમના મંડળનું આ 22મુ વર્ષ છે. દર વર્ષના અહીં નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. જેમાં પરંપરાગત ગરબા રમાય છે. આ સાંસ્કૃતિક મહોત્સવમાં તમામ લોકો ઉત્સાહભેર ભાગ લે છે. દર વર્ષે નવરાત્રી દરમ્યાન માતાજીને 56 ભોગ ધરાવાય છે. 108 ભક્તો દ્વારા 108 દીપની મહા આરતી કરવામાં આવે છે. મંડળના સભ્યો રક્તદાન શિબિર, વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યોનું પણ આયોજન કરે છે.દર વર્ષે નવરાત્રી દરમ્યાન પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન થતા હોય છે. જેની સામે શેરીઓ, સોસાયટીઓમાં થતા આયોજન પણ યથાવત રાખવા લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સોસાયટીમાં થતા નવરાત્રીના આયોજનો ખરા અર્થમાં સંસ્કૃતિની આગવી ઓળખ સમાન છે. નાના બાળકોમાં સાંસ્કૃતિક વિરાસતનું સિંચન થાય છે. એવા ઉદ્દેશ્ય સાથે સોસાયટીમાં આજથી 21 વર્ષ પહેલા અમે નાના હતા ત્યારે શરૂઆત થઈ હતી. આજે અમે ઉંમરલાયક થયા છીએ 21 વરસથી થતા આ પરંપરાગત આયોજનથી અમારામા સંસ્કૃતિ જતનના બીજ રોપાયા છે. જે બીજ આજે અમારા બાળકોમાં રોપાઈ રહ્યા છે. એટલે આવી જ પહેલ સાથે આ નવરાત્રી મહોત્સવના આયોજનો થતા રહેવા જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *