Saturday, March 15News That Matters

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં 40 માં વાર્ષિક ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે થઈ સંપન્ન

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ ની સ્થાપનાને 40 વર્ષ થતાં 40 માં વાર્ષિક ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. આ ત્રિદિવસીય ઉજવણી ત્રણ જુદી જુદી થીમ ઉપર કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે ગીતોહમ, બીજા દિવસે મા આદ્યશક્તિ તથા ત્રીજા દિવસે શ્રી હનુમાન ચરિત્રની બાળકો દ્વારા આબેહુબ પ્રસ્તુતિ કરાતા પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા. આ રંગારંગ કાર્યક્રમ માત્ર કાર્યક્રમ ન બની રહેતા એક સમાજ ચેતના અને આપણી સંસ્કૃતિ અને તેના વારસાનું પ્રતિબિંબ બની રહ્યું હતું.

આ ઉત્સવમાં અતિથી વિશેષ તરીકે જીતુભાઈ ચૌધરી (ધારાસભ્ય કપરાડા), ડો. કરનરાજ વાઘેલા ( વલસાડ જીલ્લા પોલીસવડા), પૂજ્ય શાસ્ત્રી નૌતમ સ્વામી (વડતાલ), શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી (ગઢપુર), પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામી ( કોઠારી સાળંગપુર), કમલેશભાઈ પટેલ (અમેરિકા), હસમુખભાઈ શાહ (અમેરિકા) સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જીલ્લા પોલીસ વડા ડો. કરન રાજ વાઘેલાએ સસ્થાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે `હું આજે યુનિફોર્મમાં એટલા માટે આવ્યો કે અમારો આ ખાખી એ જ ભગવો કલર છે. ખાખી પહેરી સમાજની સેવા કરીએ છીએ. સાથે બાળકોને ખબર પડે કે હું 4 વર્ષનો મેડીકલ અભ્યાસ પછી યુપીએસસી ક્લીયર કરી આઈ પી એસ બન્યો છું. સફળતા એમ ને એમ નથી મળતી એ માટે ખુબ પરિશ્રમ કરવો પડે છે.

તેમણે સાળંગપુર ક્સ્ટભંજન દેવ મંદિરના પોતે અનુભવેલા દાખલા ટાંકી જણાવ્યું હતું કે ધર્મમાં આસ્થા અને સાચી શ્રધ્ધા ન હોય તો કોઈપણ કામ થતું નથી. કાયદો વ્યવસ્થાની જવાબદારી સાચવવાની જવાબદારી પોલીસની છે, સ્કુલમાં શિક્ષણ આપવાનું કામ શિક્ષકનું છે, દવા આપવાની કામગીરી ડોક્ટરની છે, રસ્તા બનાવવું વગેરે એન્જીન્યરનું કામ છે પણ આ બધી વસ્તુમાં આસ્થા અને સાચી શ્રધ્ધા ન હોય તો એક પણ કામ થતું નથી. મહેનત વગર છૂટકો નથી. ધીરજના ફળ મીઠા છે. બાળકોને રસ હોય તેમાં આગળ વધવા દો.

કપરાડા ધારસભ્ય જીતુભાઈ ચૌધરી એ પણ સંસ્થાના 40 વર્ષના વિકાસની પ્રસંશા કરી સંતો દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં થઇ રહેલ લોક કલ્યાણની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ રંગરંગ કાર્યક્રમને માણવા માટે દેશ-વિદેશથી સાધુ સંતો ઉપરાંત રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થામાં નવનિર્મિત ‘શ્રી કષ્ટભંજન દેવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. વીતેલા વર્ષમાં વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રતા ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન તથા તેજસ્વી તારલાઓના સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સંત પૂજન અતિથિ વિશેષોના સન્માન તથા સંતોના આશીર્વચન સહિત વૈવિધ્યસભર પ્રસંગોથી સમગ્ર ઉત્સવ દીપી ઉઠ્યો હતો. રંગારંગ કાર્યક્રમમાં ત્રણ દિવસમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જે પણ એક રેકોર્ડ બન્યો હતો. આ કાર્યક્રમને માણવા વાપી તથા આજુબાજુના ગામોના હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સંસ્થા દ્વારા તમામ માટે સંધ્યા ભોજનની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજીના આશીર્વાદથી તથા મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ શિક્ષણ અધ્યાત્મિક સમાજ સેવા અને રાષ્ટ્રધર્મના માધ્યમથી ખૂબ જ પ્રગતિસર છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળ ડાયરેક્ટર તથા આચાર્યશ્રીઓ શૈક્ષણિક સ્ટાફ અને વાલી મિત્રો તથા સહયોગથી સંસ્થાનો આ ચતુર્થ દશાબ્દિ મહોત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *