ઉમરગામ તાલુકામાં પશુધનોમાં લંપી વાઈરસનો પગ પેસારો ધીમે ધીમે ખૂબ ફેલાઈ રહ્યો છે. અનેક ગાયો લંપી વાયરસ અગ્રસ્ત દેખાઈ રહી છે. જે એક પંથકમાં ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ જવા પામ્યું છે. ગૌસેવકો લંપી ગ્રસ્ત ગાયોને ઉગારવાનું કામ કરી રહ્યા છે. પણ ઉપરોક્ત ઉદભવેલી પરિસ્થિતિ સામે આજેય તંત્રનું ઉદાસીન વલણ રહેતા ઉપરોક્ત પરિસ્થિતિના જવાબદાર પણ સંબંધીત અધિકારીઓ અને તરછોડાયેલી ગાયોના પશુપાલકો રહ્યા છે.
હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સરીગામ સારવાર કેન્દ્ર ખાતે તબીબ વંદન મોદી અને ઉમરગામ તાલુકાન પશુ ચિકિત્સક ડો.હસમુખ ચૌધરી તથા કમલેશ પંડિત સહિત ટિમના સહયોગથી અત્યારે 20 જેટલી ગાયો લમ્પી ચેપગ્રસ્તની સારવાર હેઠળ રહી છે. પંથકના માર્ગ ઉપર ટોળાંમાં ફરતી 50થી વધુ ગાયો લંપી ચેપ ગ્રસ્ત નજરે પડી છે.
ગતરોજ નારગોલ ગામેથી એક લંપી વાયરસ ચેપગ્રસ્ત ગાયને સારવાર હેઠળ લઈ આવતા પરિસ્થિતિ નાજુક બની હતી. ગાયના શરીરમાં ચેપ વધુ પ્રસરી મોઢા ઉપર ચાંદા પડી જઈ ફૂટતા તે ગાયની આંખને ખૂબ નુકસાન થયું છે. છેલ્લા પાંચ દિવસમાં લંપી ચેપ ગ્રસ્ત ચાર ગાયોના મોત થતા વિસ્તારમાં ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે તંત્ર સજાગ બની કાર્ય હાથ નહીં ધરે તો આવતા દિવસોમાં અનેક ગાયો લંપી વાઈરસ ચેપગ્રસ્ત બનવાની આશંકા રહી છે.
અત્યારે ઉલ્લેખનીય છે કે 20 દિવસ અગાઉ માત્ર છ ગાયો લંપી ગ્રસ્ત હતી. સમયસર તંત્ર જાગી ગયું હોત અને પરિસ્થિતિને કાબુ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોત તો ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થયું ન હોત.