સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બીજા દિવસે પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 200 પાર ગયો છે. દાદરા નગર હવેલીમાં બુધવારે 206 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડમાં 2 ના મોત સાથે 69 કેસ નોંધાયા છે. તો દમણમાં 28 નવા કેસ નોંધાયા છે. જ્યારે 50 ને રજા અપાઈ હતી.

વલસાડ જિલ્લામાં બુધવારે રામ નવમીના દિવસે વધુ 2 દર્દીના મોત નિપજ્યા હતાં. જ્યારે 69 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વલસાડ જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 506 થઈ છે. સારવારથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1551 થઈ છે. તો અત્યાર સુધીનો કુલ મરણાંક 191 થયો છે.

દમણમાં બુધવારે 50 દર્દીઓ સાજા થતા તેને સારવાર માંથી રજા અપાઈ હતી. જ્યારે 28 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. દમણમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 270 છે. જ્યારે અત્યાર સુધીમાં 1692 દર્દીઓને સારવારમાથી મુક્તિ અપાઈ છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારે 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ બુધવારે વધુ 206 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. દાદરા નગર હવેલીમાં એ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1170 થઇ છે. બુધવારે 44 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 2045 થઈ છે.